ચોમાસુ ગુવારની સુધારેલી ખેતી પધ્ધતિ (cluster bean farming)

cluster beans ગુવારની ખેતી (cluster bean farming) ૯૦ થી ૯૫ ટકા ચોમાસાની ઋતુમાં વરસાદ આધારિત જ થાય છે. ગુવારની પાકની ઉત્પાદનશક્તિ વધારવા માટે કૃષિ વૈજ્ઞાનિકોએ વિકસાવેલ બિનખર્ચાળ જેવી કે વાવણી સમય, વાવણી અંતર, જાતની પસંદગી તથા ઓછી ખર્ચાળ ખેતી પદ્ધતિઓ જેવી કે બીજની માવજત, જૈવિક ખાતરનો રાસાયણિક ખાતર સાથે સંકલિત વ્યવસ્થા કરી ગુવારનું ઉત્પાદન વધારી પોષણક્ષમ ખેતી કરી શકાય છે.

જમીનની તૈયારી

જમીનની ભેજસંગ્રહ શક્તિ વધારવા માટે તથા આગળના વર્ષના પાકમાં આવેલ રોગ-જીવાતને શરૂઆતમાં જ અટકાવવા તથા પાક સંરક્ષણ ખર્ચ ઘટાડવા માટે જમીનને ઉનાળામાં ઊંડી ખેડ કરી સૂર્યપ્રકાશમાં તપવા દેવી જોઈએ. ખેડ તેમજ પાકની વાવણી જમીનના ઢાળની વિરૂદ્ધ દિશામાં કરવાથી જમીનમાં વધારે પાણી ઉતરે છે અને પાણીની વહેણથી થતુ જમીનનું ધોવાણ ઓછું કરી શકાય છે. આમ જમીનની તૈયારીમાં વધારાનો કોઈ જ ખર્ચ કર્યા સિવાય પાકની વૃદ્ધિ તથા ઉત્પાદનમાં વધારો કરી શકાય છે.

બિયારણની પસંદગી

ખેડૂતોને સારી જાતનું શુદ્ધ પ્રમાણિત બિયારણ વાપરવાનો આગ્રહ રાખવો જોઈએ. આમ બિયારણની ખરીદીમાં થતા થોડા વધારે ખર્ચની સામે વધુ ઉત્પાદન મેળવી શકાય છે. આ માટે ગુવારની સુધારેલ જાત ગુજરાત ગુવાર-૨ કે જે બેકટેરીય બ્લાઈટ (સુકારા) સામે પ્રતિકારકશક્તિ ધરાવતી તેમજ સ્થાનિક જાતો કરતાં ૧૫ દિવસ વહેલી પાકતી હોવાથી તે જાતનું વાવેતર કરવું જોઈએ.

બિયારણની માવજત

જમીન અને બીજજન્ય રોગોના અસરકારક નિયંત્રણ માટે બિયારણને યોગ્ય ફૂગનાશક કીટકનાશકનો પટ આપવાથી ઓછા ખર્ચે પાકમાં આવતાં રોગ, જીવાત સામે રક્ષણ મળતાં પાકનો વિકાસ સારો થતા ઉત્પાદન સારૂ મેળે છે આ માટે ગુવરાના બીજને ૨૫૦ પીપીએમ. (૧o લિટર પાણીમાં ૨૫૦ ગ્રામ સ્ટ્રપ્ટોસાયકલીન) ૩૦ મિનિટ બોળી રાખી છાંયડામાં સુકવી પછી જૈવિક કલ્ચર (રાઈઝોબિયમ તથા પીએસબીનો ૮ કિલો બીજ દીઠ ૨૫૦ ગ્રામ દરેક કલ્ચર) નો પટ આપવો.

રાસાયણિક ખાતરની કિંમતો ઘણી જ વધી ગઈ છેત્યારે જૈવિક ખાતરનો ઉપયોગ કરવાથી પ્રતિ હેકટર દીઠ લગભગ ૧૦ કિલો નાઈટ્રોજન તથા ૨૦ કિલો ફોસફરસની બચત કરી શકાય છે.

વાવણી સમય

વહેલી કે મોડી વાવણી પાકના ઉગાવા તથા ઉત્પાદન પર અસર કરે છે. સામાન્ય રીતે મોટા ભાગના ખરીફ પાકોનું વાવેતર ૧૫ મી જૂન પછીના પ્રથમ વરસાદેજ કરી દેવામાં આવે છે જયારે ગુવારના પાકની વાવણી જુલાઈ માસના છેલ્લા અઠવાડીયામાં એટલે કે ૨૦ મી જુલાઈ પછી વરસાદ પડે કે તરત જ વાવણી કરવી. આમ વાવણીના સમયમાં વધારાનો કોઈ જ ખર્ચ કર્યા સિવાય બેકટેરીયલ બ્લાઈટ તથા જીવાત ઉપર સારા પ્રમાણમાં નિયંત્રણ મેળવી શકાતું હોવાથી ગુવારનું વધુમાં વધુ ઉત્પાદન મેળવી શકાય છે.

બિયારણનો દર અને વાવણી અંતર

કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા ભલામણ કરેલ માત્રામાં જ બિયારણના દરનો ઉપયોગ કરવો તથા ગુવારની વાવણી ભલામણ કરેલ અંતરે જ કરવી ગુવારના પાકની વાવણી જમીનની પ્રત મુજબ બે હાર વચ્ચે ૪૫ થી ૬૦ સે.મી.નું અંતર રાખી હેકટરે ૧૫ કિલો બિયારણ વાપરવાથી છોડની પૂરી સંખ્યા જળવાઈ રહે છે.

નીંદણ નિયંત્રણ

નીંદામણ પાક સાથે હવા, પાણી તથા પોષક તત્વો માટે સીધી હરિફાઈ કરતા હોઈ નીંદણના છોડને પાકના શરૂઆતમાં જ એટલે કે ૪૫ દિવસ સુધી નીંદણનું નિયંત્રણ કરી ઉત્પાદન મેળવી શકાય છે. આ માટે પાકની વાવણી પછી ૩૦ અને ૪૫ દિવસ એમ બે વખત આંતરખેડ તથા હાથથી નીંદામણ કરવું અથવા મજૂરની અછતની પરિસ્થિતિમાં પેન્ડીમીયાલીન ૦.૫ કિલો સક્રિય તત્વ પ૦૦ લિટર પાણીમાં પાકની વાવણી પછી તરત જ અને પાકનો ઉગાવો થાય તે પહેલા છંટકાવ કરવો.

ખાતર વ્યવસ્થા

ખાતર એ પાક ઉત્પાદનને અસર કરતું એક મોંધું પરિબળ છે. ગુવારના પાકમાં ખેડૂતો મોટાભાગે રાસાયણિક ખાતર આપતા જ નથી. જમીનની ભૌતિક તેમજ જૈવિક પરિસ્થિતિને ખરાબ અસર થાય નહિ તે માટે ગુવારના પાકમાં સંકલિત ખાતર વ્યવસ્થાના ભાગ રૂપે બીજને વાવણી પહેલા રાઈઝોબિયમ અને પીએસબી કલ્ચરનો (૮ કિલો બિયારણ દીઠ ૨૦૦ ગ્રામ રાઈઝોબિયમ અને ૨૦૦ ગ્રામ પીએસબી) પટ આપી હેટકરે ૧૦ કિલો નાઈટ્રોજન તથા ૨૦ કિલો ફોસફરસ(હેકટર ૪૭ કિલો ડી.એ.પી.) પાયામાં બીજના નીચે પડે તે રીતે આપવું જેથી બીજના ઉગાવાને નુકશાન કરે નહી.

પિયત

ચોમાસુ ઋતુમાં ગુવાર જેવા ગૌણ પાકને વરસાદની અછતના સમયે પણ ખેડૂતો પાકને પાણીની વ્યવસ્થા હોવા છતાં પણ પિયત આપવાનું ટાળે છે. તે પાકના વાનસ્પતિક વિકાસની અવસ્થાએ, પo% ફૂલ આવવાની અવસ્થાએ અથવા શિંગોમાં દાણા ભરાવવાના અવસ્થાએ આ ત્રણ પૈકી જે અવસ્થાએ વરસાદની અછત હોય તે અવસ્થાએ એકાદ પિયત આપવાથી દાણાના વધુ ઉત્પાદન દ્વારા આર્થિક વળતર મેળવી શકાય છે.

પાક સરંક્ષણ

રોગો અને જીવાતનું નિયંત્રણ જો શરૂઆતથી કરવામાં આવે તો ખર્ચ ઘટે છે તથા સારી ગુણવત્તાવાળુ ઉત્પાદન મેળવી શાય છે. ગુવારના પાકમાં ગમે તે અવસ્થાએ છોડના પાન દીઠ પાંચ કે વધુ ચૂસિયા પ્રકારની જીવાતો જેવી કે સફેદ માખી તથા લીલા તડતડિયાંનો ઉપદ્રવ જણાય તો ૪ ગ્રામ થાયમેથોકઝામ દવા ૧૦ લિટર પાણીમાં મિશ્ર કરી હેકટરે પo૦ લિટર પાણીનો છટકાવ કરવાથી અસરકારક નિયંત્રણ મેળવી શકાય છે. જો ફરી ઉપદ્રવ જણાય તો ૧૦ ગ્રામ એસીફેટ દવા ૧૦ લિટર પાણીમાં ઓગાળી હેકટરે ૫૦૦ લિટર પાણીનો છટકાવ કરવો. ગુવારના પાકમાં સતત વરસાદવાળા વાતાવરણને કારણે બેકટેરીયલ બ્લાઈટનો રોગ જોવા મળે છે. તેના નિયંત્રણ માટે રોગની શરૂઆતની અવસ્થાએ ૧૦૦ પીપીએમ સ્ટ્રેપ્ટોસાયકલીનનું દ્રાવણ હેકટરે પoo લિટર પાણીમાં ૧૫ દિવસના અંતરે બે છંટકાવ કરવા.

સફ્ળકિસાનની વેબસાઈટ પર નવી માહિતી વિશે તમારા ફોન પર સુચના (નોટીફિકેશન) મેળવવા માટે અહિં ક્લિક કરો.

નોંધ: ફોન પર સુચના મેળવવા માટે તમારા ફોન પર 'ટેલેગ્રામ' એપ હોવી જરૂરી છે. તમે આ એપ ગુગલ પ્લે-સ્ટોર થી ડાઉનલોડ કરી શકો છો.

હવે તમે પણ સફળકિસાનની વેબસાઈટ દ્વારા અન્ય કિસાનમિત્રો સાથે માહિતી શેર કરી શકો છો. માહિતી કેવી રીતે આપવી એ જાણવા માટે અહીં જુઓ.

તમે અન્ય કિસાનમિત્રોએ આપેલ માહિતી ખેડૂતો માટે,ખેડૂતો દ્વારા પર જોઈ શકો છો.

2 thoughts on “ચોમાસુ ગુવારની સુધારેલી ખેતી પધ્ધતિ (cluster bean farming)”

Comments are closed.