ગાય આધારીત જૈવીક ખાતર અને કીટ નાશક બનાવવાની પધ્ધતી

ખેતઉત્પાદન માટે યુરીયા અને પેસ્ટીસાઇડસના વપરાશથી થતા પર્યાવરણનું નુકશાન તથા માનવ અને પશુ-પક્ષીઓને થઇ રહેલા નવા નવા રોગો દ્વારા થતા નુકસાનથી બચવા અને આજની જરૂરીયાત અને આપણી ગાય આધારીત પુરાણી ઋષી ખેતી જેને આજે જૈવીક કે ઓર્ગોનીક ખેતી (organic farming) પણ કહેવામાં આવે છે. ખેતીમાં વધુ ઉત્પાદન મેળવવા માટે જૈવીક ખાતરો ઘરે બનાવવા બહૂજ સરળ છે જેની માહિતી નીચે મુજબ છે.

બીજામૃત (બીજ માવજત માટે)

સામગ્રીઃ ગાયનું છાણ-૫ કિલો, ગૌમૂત્ર-૫ લીટર, ચૂનો ૨૫૦ ગ્રામ, પાણી ૨૦ લિટર.

બનાવવાની રીતઃ ૨૦ લિટર પાણીમાં દર્શાવ્યા મુજબની વસ્તુઓ નાખીને ૨૪ કલાક રાખવું અને દિવસમાં બે વખત હલાવવુંનું આ દ્વાવણનો બીજ પર છંટકાવ કરવો અને બીજને છાંયડે સુકવવા. કંદને વાવતા પહેલાં આ દ્વાવણમાં બોળીને વાવી શકાય. રોપની ફોર રોપણી કરતી વખતે પણ તેના મૂળ આ દ્વાવણમાં બોળીને વાવી શકાય.

જીવામૃત (૧ એકર જમીન માટે)

સામગ્રીઃ ગાયનું છાણ-૧૦ કિલો, ગૌમૂત્ર-૫ લિટર, ગોળ (દવા વગરનો દેશી-૧ કિલો), ચણા, મગ અથવા અડદનો લોટ-૧ કિલો, સેઢાની અથવા ઝાડ નીચેની માટી-૧ ખોબો, પાણી ૨૦૦ લીટર.

બનાવવાની રીતઃ ૨૦૦ લિટર પાણી દર્શાવ્યા મુજબની વસ્તુઓ નાખીને ત્રણ દિવસ સવાર-સાંજ સવળે આંટે હલાવવું. જમીનમાં ભેજ હોય ત્યારે એક એકર જમીનમાં છંટકાવ કરવો. જો ધોરીયે પાણી આપતા હોઇએ તો અંગુઠા જેવી ધાર કરવી, ધીમે ધીમે આપવું. બેકટેરીયા ૧૦ ફૂટ નીચે જઇને સુષુપ્ત રહેલ અળસીયાંને જાગૃત કરીને ઉપર લાવેે છે. આ જીવામૃત પાકની સિઝનમાં ૪ વખત આપવું.

ઘન જીવામૃત

સામગ્રીઃ ગાયનું છાણ-૧૦૦ કિલો,  ગોળ (દવા વગરનો) દેશી-૨ કિલો,  ચણાનો લોટ-૨ કિલો,  સેઢાની અથવા ઝાડ નીચેની માટી-૧ ખોબો,  ગૌમૂત્ર જરૂરીયાત મુજબ

બનાવવાની રીતઃ દર્શાવ્યા મુજબની દરેક વસ્તુ મિક્ષ કરી લાડવા બનાવવા તેમાં ગૌમૂત્ર નાખવા જવું. લાડવા છાંયડે સુકવવા. લાડવા ઝાડના થડથી દૂર ઘેરાવાના અંતર સુધી ખાડો કરી રાખવા અને ઉપર ઘાસ નાખીને ડ્રીપરથી પાણી આપવું. લાડવામાં બી રાખીને પણ વાવી શકાય.

પંચગવ્ય

સામગ્રી: ગાયનું છાણ-૫ કિલો, ગૌમૂત્ર-૩ લિટર,  ગાયનું દૂધ-૨ લિટર, ગાયનું દહીં-૨ કિલો, ગાયનું ઘી-૨ કિલો, શેરડીનો રસ-૩ લિટર અથવા દેશી ગોળ- ૧ કિલો, લીલા નાળીયેરનું પાણી-૩ લિટર, પાકા કેળા- ૧૨ નંગ

બનાવવાની રીતઃ પહોળા મોઢાવાળું વાસણ લેવું. ઘીને છાણ સાથે મિશ્ર કરી તેની પેસ્ટ બનાવી ભીના કંતાનમાં રાખવી. બાકીના પદાર્થને વાસણમાં મિશ્ર કરવા. રોજ સવાર- સાંજ હલાવવું. અઠવાડીયા બાદ ઘી- ગોબરની પેસ્ટને વાસણમાં મિશ્ર કરવું રોજ સવાર-સાંજ હલાવવું. ૨૧ દિવસે પંચગવ્ય તૈયાર થઇ જશે. ૩ ટકાનું દ્વાવણ (૧૦ લિટર પાણીમાં ૩૦૦ મીલી પંચગવ્ય) પાક પર છંટકાવમાં કે બીજ- ધરૂ માવજત માટે વાપરી શકાય. પિયત સાથે પંચગવ્ય આપવું હોય તો ૧ એકરે ૨૦ લિટર પંચગવ્ય આપી શકાય.

દૂધનો ખેતીમાં ઉપયોગ

મરચીના પાકમાં પાનનું કોકડાવું એક મુખ્ય સમસ્યા છે આ માટે ૧૫ લીટરના પંપમાં ૨૫૦ મીલી ગાયનુ઼ દૂધ મિશ્ર કરી તેનો છંટકાવ કરવાથી લાભદાયી પરિણામ મળે છે.

છાશનો ખેતીમાં ઉપયોગ

  • ૨૫ થી ૩૦ દિવસ જુની છાશ ૧૫ લિટરના પંપમાં ૨૫૦ મીલી જુની છાશ મિશ્ર કરી તેનો છંટકાવ કરવાથી ઇયળો પર નિમંત્રણ મેળવી શકાય છે.
  • ૧૫ લિટરના પંપમાં ૨૫૦ મીલી તાજી છાશને મિશ્ર કરી તેનો છંટકાવ કરવાથી ચૂસિયા પર નિયંત્રણ મેળવી શકાય છે.

કીટ નિયંત્રણ દવા

નીમાસ્ત્રઃ રસ સૂચવા વાળી જીવાત માટે- ગૌમૂત્ર ૫ લિટર + છાણ ૧ કિલો + લીમડો ૫ કિલો લઇ ૧૦૦ લિટર પાણીમાં નાખીને ૨૪ કલાક રાખવું ત્યારબાદ ગાળીને છાંટવું

બ્રહ્મમાસ્ત્રઃ મોટી ઇયળ અને બાકી જીવાત માટે ગૌમૂત્ર ૧૦ લિટર + ૩ કિલો લીમડો + ૨ કિલો કરંજ + ૨ કિલો સીતાફળ પાન + ૨ કિલો બીલી પત્ર + ૨ કિલો ધતુરાના પાન લઇ બધુ ભેગું કરીને ત્રણ ચાર ઉકાળા લઇને ગાળીને ૪૮ કલાક રાખવું. ૧૦૦ લિટર પાણીમાં નાખીને છંટકાવ કરવું

અગ્નિશસ્ત્રઃ કપાસ, ફળ વગેરેમાં રહેતી ઇયળો માટે ગૌમૂત્ર ૧૦ લિટર + ૧ કિલો તમાકુ (વેસ્ટ હોય તે) + ૫૦૦ ગ્રામ તીખા મરચા + ૫૦૦ ગ્રામ લસણ + ૫ કિલો લીમડાના પાન લઇ બધું મિક્ષ કરીને ચાર ઉકાળા લઇને ગાળીને ૪૮ કલાક રાખવું. ૧૦૦ લિટર પાણીમાં નાખીને છંટકાવ કરવું.

સફ્ળકિસાનની વેબસાઈટ પર નવી માહિતી વિશે તમારા ફોન પર સુચના (નોટીફિકેશન) મેળવવા માટે અહિં ક્લિક કરો.

નોંધ: ફોન પર સુચના મેળવવા માટે તમારા ફોન પર 'ટેલેગ્રામ' એપ હોવી જરૂરી છે. તમે આ એપ ગુગલ પ્લે-સ્ટોર થી ડાઉનલોડ કરી શકો છો.

હવે તમે પણ સફળકિસાનની વેબસાઈટ દ્વારા અન્ય કિસાનમિત્રો સાથે માહિતી શેર કરી શકો છો. માહિતી કેવી રીતે આપવી એ જાણવા માટે અહીં જુઓ.

તમે અન્ય કિસાનમિત્રોએ આપેલ માહિતી ખેડૂતો માટે,ખેડૂતો દ્વારા પર જોઈ શકો છો.