કીટનાશકોના (pesticide) અસરકારક ઉપયોગમા ધ્યાનમાં રાખવાની બાબતો

પાક ઉત્પાદન વધારે મેળવવા માટે પાક સંરક્ષણ અંગેની સાચી સમજ હોવી ખુબ જ જરૂરી છે. કીટનાશક (pesticide) માટે જુદી જુદી પધ્ધતિઓ અપનાવવામાં આવે છે. તેમાની સૌથી વધુ ખર્ચાળ અને જમીન, પર્યાવરણ તથા સજીવ સૃષ્ટિ માટે જોખમકારક પધ્ધતિ એ રાસાયણિક પદ્ધતિ છે. આ પદ્ધતિ વિશેની ખેડૂતોને અણસમજને લીધે તેના સારા પરિણામો મળતા નથી. કયારેક તેના માઠા પરિણામો પણ ભોગવવા પડે છે. આના પરિણામે ખેડૂતો હતાશા અનુભવે છે. અને એમનો આ પધ્ધતિ ઉપરથી વિશ્વાસ ઉઠી જાય છે. આ ઉપરાંત ખર્ચનું પુરેપુરુ વળતર કે આર્થિક ઉત્પાદન મળવાના બદલે ખેડૂતો બેહાલ અને પાયમાલ બને છે. કીટનાશક દવાઓના સલામત ઉપયોગ અંગે હાલ ખેડૂતોએ નીચે મુજબની બાબતોનો ખ્યાલ રાખવો જોઈએ.

પાકમાં રોગ કે જીવાતની ઓળખનો અભાવ

ખેડૂતભાઈઓ ઘણી વખત પાકમાં રોગ હોય અને જીવાત સમજીને કીટનાશી દવાનો ઉપયોગ કરતા હોય છે. જયારે કેટલીક વખત જવાતો ઉપદ્રવ હોય છે. ત્યારે રોગ સમજીને ફૂગનાશક દવાઓનો ઉપયોગ કરતા હોય છે. દા. ત. ડાંગરમાં ચસિયાનો ઉપદ્રવ હોય ત્યારે મોટાભાગના ખેડૂતો તેને રોગ સમજી અને તેની દવા છંટતા હોય છે. આમ દવાનો વ્યય થાય છે. અને ચોકકસ પરિણામ મળતું નથી.

દવાઓની (pesticide) પંસદગી અંગેની સાચી જાણકારીનો અભાવ

બજારમાં સ્પર્શજન્ય, શોષક પ્રકારના, પેટના કે વાયુરૂપે અસર કરનારા વિવિધ પ્રકારના ઝેર ઉપલબ્ધ હોય છે. વિવિધ પ્રકારનો કીટનાશી દવાઓની પસંદગી જુદા જુદા કીટકોની નુકસાન કરવાની રીતને ધ્યાનમાં લઈને કરવામાં આવે તો જ સારા પરીણામો મળે છે. દા.ત. લશ્કરી ઈયળ દિવસે તાપ સહન ન થવાથી જમીનમાં ઉતરી જાય છે. આવી ઈયળને મારવા સાંજના સમયે સ્પર્શજન્ય કે જઠર વિષ દવા વાપરવી જોઈએ, ચુસિયાં પ્રકારની જીવાતોના નિયંત્રણ માટે શોષક પ્રકારની દવા વધુ અસરકારક પરિણામો આપે છે.

દવાઓની વાપરવાની મુદત વાંચવાની અણઆવડતા

દરેક પ્રકારની જંતુનાશક દવાઓની બોટલો ઉપર તેની બનાવવાની અને સંઘરવાના સમયની તારીખ લખેલી હોય છે. મુદત પુરી થયા પછીથી જે તે દવાની અસરકારકતા ઘટી જાય છે. ઉપરાંત ક્યારેક તેની પાક ઉપર પણ આડઅસર થતી હોય છે. આવી દવાઓ કયારેક ખેડૂતો વાપરે છે. જેનાથી ખર્ચ માથે પડે છે. અને તેની જમીન, છોડ અને પર્યાવરણ ઉપર પણ વિપરીત અસર થાય છે. આથી દરેક ખેડુત ભાઈ બહેનોએ દવાની ખરીદી કરતી વખતે પેકીંગ ઉપર લખેલી મુદત વાંચવાની કે બીજા પાસે વંચાવીને ખરીદવાની આદત પાડવી ખુબ જ જરૂરી છે.

દવાઓના યોગ્ય પ્રમાણની અણસમજ

જંતુનાશક દવાઓના છંટકાવ માટે જેટલું મહત્વ દવાઓનું છે. તેટલું જ કે તેનાથી વધારે મહત્વ તેમાં ઉમેરલા પાણીનું પણ છે. દવાઓના છંટકાવ વખતે પુરતા પ્રમાણમાં આખો છોડ ભીજાઈ જાય તેટલું પાણી (એકરે આશરે ૧૫ થી ૩૦ પંપ) છાંટવું જ જોઈએ તો જ છાંટેલી દવાઓની પુરેપુરી અસર થતી હોય છે.

દવાઓનું બિનજરૂરી અને બિન ઉપયોગ મિશ્રણ કરવાની ટેવ

કેટલાક ખેડુતો એવું માને છે કે બે કે ત્રણ દવાઓ ભેગી કરીને છાંટવાથી એક દવાથી ન મરે તો બીજી દવાથી તો જીવાત મરી જ જશે. આથી એક કરતા વધારે કીટનાશી દવાઓ ભેગી કરીને છાંટતા હોય છે. આમ કરવાથી દવાઓનો વ્યય થાય છે. અને બિજવરૂરી મિશ્રણથી પ્રદુષણ વધે છે. વળી કેટલીક દવાઓ એક બીજા સાથે ભેળવીને છાંટી શકાય તેવી હોતી નથી છતાંય ભેળવવામાં આવે તો તેની અસરકારકતા ઘટે છે.

સતત એક જ દવાનો ઉપયોગ

ઘણી વખત કોઈ દવા સારી અસરકારક જણાય તો ઘણા ખેડૂતો બધા જ પાકોમાં અને દરેક પ્રકારની જીવાતો માટે એકની એક દવાનો સતત ઉપયોગ કર્યો રાખતા હોય છે. પરિણામે આ દવા સામે જીવાતોની પ્રતિકારકશકિત વધી જાય છે. અને તેના લીધે ઘણી વખત જીવાતોનો પુનઃપ્રકોપ થાય છે. દા. ત. સીજેટીક પાયરેથ્રોઈડ ઉપયોગ બાદ ચુસિયા પ્રકારની જીવાતોનો ઉપદ્રવ વધે છે. તેવી રિતે કાબરિલ દવાના સતત ઉપયોગથી પાન કથીરી વધે છે. ટાઈઝોફોસ અને કવીનાલફોસ દવાના સતત ઉપયોગથી કપાસ અને ભીંડાના પાક પર લીલા ચુસિયાનો પુનઃ પ્રકોપ થાય છે.

ઉપયોગી અને નુકશાનકારક જીવાતની ઓળખનો અભાવ

“જીવો જીવસ્ય ભક્ષતિ’ એ ઉકિત અનુસાર કુદરતે પૃથ્વી ઉપર સજીવોની સપ્રમાણ માત્રા ગોઠવેલા જ છે. પરંતુ આડેધડ દવાઓના ઉપયોગથી આ ચક્ર ખોરવાતું ગયું અને આજે કીટકોના ઉપદ્રવને અટકાવવો મુશ્કેલ બનતો ગયો છે. કુદરતમાં દરેક કીટકોની ચોકકસ વસ્તી જળવાઈ રહેતી હોય છે. આ પ્રકારનું સમતોલન જાળવવામાં પરભક્ષી અને પરજીવી કીટકોનો મોટો ફાળો છે. દા. ત. ક્રિાઈસોપા (લીલીપોપટી), પરભક્ષી ડાળીયા અથવા કાંચળી (લેડી બર્ડ બીટલ) ટ્રાયકોગ્રામા ભમરીઓ, પરભક્ષી ભમરીઓ વિગેરે આવા ઉપયોગી કીટકો ને ખેડૂતો ઓળખે અને તેનું રક્ષણ કરે તે ખૂબ જ જરૂરી છે.

દવા છાંટવા માટેના પંપની યોગ્ય પસંદગીનો અભાવ

સામાન્ય રીતે પાક, જીવાત અને દવાના પ્રકારને ધ્યાનમાં રાખીને દવા છાંટવાના પંપની પસંદગી કરવામાં આવે છે. દા. ત. જયાં પાક ઉપર દવા છાંટવા માટે જરૂરી પાણીની અછત હોય ત્યા હેલીએ જેવા પંપનો ઉપયોગ કરી શકાય, ઉચા ઝાડ ઉપર દવા છાંટવા માટે ટ્રીપલ એકશનવાળી નોઝલ ધરાવતો ફુટસ્પેયર વધુ યોગ્ય રહે છે. દવાના છંટકાવનો પંપ સાથે જોડેલી નોઝલ ઉપર આધારીત હોય છે. જરૂરી સમયે પંપ ઉપલબ્ધ ન થતાં ઘરમાં દવા હોવા છતાં સમયસર છાંટી શકતા નથી અને જીવાતોનો ઉપદ્રવ વધી ગયા બાદ દવા છાંટવાથી ધાર્યું પરિણામ મળતુ નથી અને ખેડૂતો હતાશ થાય છે.

દવા છાંટવા માટેની જરૂરીયાત નકકી કરવા માટેની ખોટી વચારધારા

જીવાતને દેખો ત્યાથી ઠાર કરો ની વૃતિ આર્થિક રીતે પોષાય તેવી પણ નથી અને ફાયદાકારક પણ નથી કેટલાક ખેડૂતો છોડ ઉપર એકાદ પાક અચૂક માત્રા સુધી જીવાતનો ઉપદ્રવ સામે ટકકર ઝીલી શકે છે. તેમજ એટલા પ્રમાણમાં જીવાતની હાજરીથી આર્થિક નુકસાન થતું નથી દરેક જીવાતની સંખ્યા અમુક ક્ષમ્ય માત્રાને વટાવે ત્યારબાદ જ દવાનો છંટકાવ કરવો જોઈએ.

દવાઓના છંટકાવ માટેની યોગ્ય સાવચેતી નો અભાવ

ખેડૂતો કોઈપણ કીટનાશી દવાનો છંટકાવ કરે ત્યારે તેને વાપરતી વખતે જે કાળજી રાખવી જોઈએ તેની સમજના અભાવે ઘણી વખતે ઝેર ચઢવાના પ્રસંગો ઉભા થાય છે. સામાન્ય રીતે દરેક દવાના પેકીંગ ઉપર આ અંગેની માહિતી આપેલ હોય છે. પરંતુ ખેડૂતો તે વાચતા નથી. દવા છાંટતી વખતે રાખવાની કાળજીની સમજ ખેડૂતો શીખે તે ખૂબ જરૂરી છે. જેનાથી દવાઓની આડઅસરો અને માનવજીવન ઉપરની વિપરીત અસરોથી બચી શકશે.

સફ્ળકિસાનની વેબસાઈટ પર નવી માહિતી વિશે તમારા ફોન પર સુચના (નોટીફિકેશન) મેળવવા માટે અહિં ક્લિક કરો.

નોંધ: ફોન પર સુચના મેળવવા માટે તમારા ફોન પર 'ટેલેગ્રામ' એપ હોવી જરૂરી છે. તમે આ એપ ગુગલ પ્લે-સ્ટોર થી ડાઉનલોડ કરી શકો છો.

હવે તમે પણ સફળકિસાનની વેબસાઈટ દ્વારા અન્ય કિસાનમિત્રો સાથે માહિતી શેર કરી શકો છો. માહિતી કેવી રીતે આપવી એ જાણવા માટે અહીં જુઓ.

તમે અન્ય કિસાનમિત્રોએ આપેલ માહિતી ખેડૂતો માટે,ખેડૂતો દ્વારા પર જોઈ શકો છો.