જૈવિક નિયંત્રણ (bio-control): ટ્રાઇકોડર્મા ફુગ દ્વારા અન્ય રોગકારક ફુગનું નિયંત્રણ

Trichoderma-Viride રાસાયણિક ખાતરો, કીટકનાશકો, રોગનાશકો તથા જંતુનાશક દવાઓના અતિશય અને આડેધડ ઉપયોગ કરવાથી પર્યાવરણ અને મનુષ્યજીવન ઉપર અવળી અસર પડી છે. હરિયાળી ક્રાંતિને કારણે રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓનો અવિવેક પૂર્વકનો ઉપયોગ વધ્યો, પરિણામે પર્યાવરણ ઉપર તો વિપરીત અસર પડી જ પણ સાથે સાથે જમીનની ઉત્પાદક્તા ઘટી, ઉત્પાદનોની ગુણવત્તા અને સ્વાદમાં પણ ઘટાડો થયો. આમ, આવા હાનિકારક પરિણામોને કારણે જૈવિક ખેતીની પરિકલ્પના સમગ્ર વિશ્વમાં આજે વિસ્તરવા માંડી છે. જે કે આચણાં દેશ માટે આ વિધારધારા કાંઇ નવી નથી. કારણ કે આપણી પ્રાચીન કૃષિ પદ્ધતિ સંપૂર્ણપણે જૈવિક ખેતી આધારિત જ હતી. જૈવિક ખેતીમાં જમીનની ઉત્પાદકતા ટકાવી રાખવા માટે જૈવિક ખાતર, છાણિયું ખાતર વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે અને રોગ-જીવાતથી બચવા માટે જૈવિક નિયંત્રણ પદ્ધતિઓ અને જવ કીટનાશકો કે રોગનાશકોનો ઉપયોગ કરવો જોઇએ. આ પ્રકારની ખેતીથી જમીનની ઉત્પાદકતા લાંબાગાળા સુધી ટકવાની સાથે સાથે ખાદ્યપદાર્થોની ગુણવત્તા પણ સુધરે છે. અને આવા ગુણવત્તાસભર ખાદ્ય પદાર્થોનું વિદેશમાં વેચાણ કરવાથી ભાવ ઊંચા મળી રહે છે અને એકંદરે ખેડૂતોને આર્થિક ફાયદો થાય છે.

જૈવિક નિયંત્રણ (bio-control) એટલે શું ?

જૈવિક નિયંત્રણ એટલે પર્યાવરણની સમતુલાને ખલેલ પહોંચાડયા સિવાય પાકમાં રોગ ઉત્પન્ન કરતાં સૂક્ષ્મ જીવાણુનું અન્ય કુદરતી પરિબળ જેવા કે પરભક્ષી કે પરોપજીવી સૂક્ષ્મ જીવાણુ કે વાનસ્પતિક દવાઓ દ્વારા નિયંત્રણ કરવું. દા.ત. પાકમાં જેવા મળતાં વિવિધ પ્રકારના રોગો જેવા કે બીજનો સડો, સુકારો, મૂળનો કોહવારો વગેરેનાં નિયંત્રણ માટે ટ્રાયકોડર્મા નામની ફૂગ ઉપયોગી થાય છે.

જૈવિક ઘટકોનો વપરાશ

જૈવિક નિયંત્રણનો ઉપયોગ રોગના સ્થાન પ્રમાણે થાય છે. દા.ત. બીજ અને ધરૂ મારફત ફેલાતા રોગો માટે જૈવિક ઘટકો બીજ માવજત તરીકે વપરાય છે. દા.ત. શાકભાજીમાં ધરૂ મૃત્યુના રોગના નિયંત્રણ માટે બીજને ટ્રાઇકોડર્માં કે ગલીઓકલેડીયમ જેવી ફૂગજન્ય જૈવિક ઘટકોની બીજ માવજત આપવામાં આવે છે. બીજ અને જમીન મારફતે ફેલાતા અને મૂળમાં રોગ પેદા કરતાં રોગકારકના નિયંત્રણ માટે જૈવિક ઘટકોને જમીનમાં આપવામાં આવે છે. દા.ત. ટ્રાઇકોડર્માં કે ગલીઓકલેડીયમ જૈવિક ઘટકોને પાકની વાવણી પહેલાં ચાસમાં સેન્દ્રીય ખાતર કે દિવેલીના ખોળ જેવા વાહકો સાથે ભેળવીને જમીનમાં આપવામાં આવે છે. તેવી જ રીતે પાન, થડ, ફૂલ અને ફળ પર આવતાં રોગના નિયંત્રણ માટે જૈવિક ઘટકોનો છંટકાવ કરવામાં આવે છે. દા.ત. ડાંગરમાં દાહનો રોગ અને પાન અને કંટી પર આવે છે તેના નિયંત્રણ માટે સ્વયુડોમોનસ ફલ્યુરોસિનસ જીવાણુના દ્રાવણનો છંટકાવ કરવામાં આવે છે.

જૈવિક ઘટકોનો ઉપયોગ

હાલમાં બજારમાં ફૂગજન્ય ઘટકો પાવડરના રૂપમાં તથા જીવાણુજન્ય ઘટકો પ્રવાહી પાવડર રૂપમાં બજારમાં ઉપલબ્ધ છે. બીજ માવજત માટે પાવડર ૪ થી ૫ ગ્રામ / કિલો બીજ અને પ્રવાહી પ થી ૧૦ મિલી/ કિલો બીજ લેખે ઉપયોગ કરવો જોઇએ. જૈવિક ઘટકોની ક્ષમતા અને શુદ્ધતા સારી હોય તો જ બીજ માવજત તરીકે ઉપયોગ કરવો. જમીનજન્ય રોગના નિયંત્રણ માટે પાવડરના રૂપમાં મળતા જૈવિક ઘટકોને જમીનમાં સેન્દ્રીય ખાતર કે દિવેલાના ખોળ જેવા વાહકો સાથે મિશ્રણ કરી ચાસમાં નાખવામાં આવે છે. જૈવિક ઘટકોની વૃદ્ધિ માટે જમીનમાં ભેજ હોવો જરૂરી છે. જૈવિક ઘટકોનું અને ખોળનું પ્રમાણ પાક અને રોગ પ્રમાણે જુદા-જુદા હોઇ શકે છતાં પણ સામાન્ય રીતે એક કિલોગ્રામ ખોળ કે સેન્દ્રીય ખાતરમાં પ ગ્રામનાં હિસાબે વ્યાપારી ધોરણે મળતાં જૈવિક ઘટકોનો ઉપયોગ થાય છે. સેન્દ્રીય ખાતર અને ખોળ પાકના બીજના ઉગાવામાં નુકસાન ન કરે તે પ્રમાણે ર૦૦ થી ૩૦૦ કિલોગ્રામ/હેિક્ટરે વાપરી શકાય. જૈવિક નિયંત્રણમાં વપરાતી આ ટ્રાઈકોડમાં ફૂગ છે. ટ્રાઇકોડર્માં એ મુક્ત રીતે જીવન ગાળતી એક પ્રકારની જમીનજન્ય ફૂગ છે જે મોટાભાગની જમીનોમાં કુદરતી રીતે જ જોવા મળે છે. જે ફૂગના વર્ગીકરણમાં તાંતણાયુક્ત ડયુટરોમાઇકોટીના વર્ગમાં આવે છે. આ ફૂગ અસંયોગીજનનથી અસંખ્ય આછા લીલાથી ઘાટા લીલા રંગના બીજાણુ ઉત્પન્ન કરે છે. ટ્રાઇકોડર્માં ફૂગ એ અન્ય જમીનજન્ય રોગકારક ફૂગો જેવી કે મગફળીના થડ અને સીંગનો સડાની ફૂગ સ્કેલેરીશીયમ રોલ્ફસાઇ, મૂળખાઇની ફૂગ રાઇઝોકટોનીયા, સૂકારાની ફૂગ ફયુઝેરીયમ, થડના કોહવારાની ફૂગ પીથીયમ તથા ધરૂનો કોહવારાની ફૂગ ફાયટોપથોરા વગેરે ઉપર પરોપજીવી તરીકે જીવી તેનું જૈવિક નિયંત્રણ કરી છોડમાં આવતાં રોગથી છોડને બચાવે છે.

ટ્રાઈકોડમાં ફૂગની કઈ પ્રજાતિ ઉપયોગી છે?

ટ્રાઇકોડર્માં ફૂગની અંદાજે ૮૯ પ્રજાતિઓ છે, જે પૈકીની અમુક પ્રજાતિઓ જેવીકે ટ્રાઇકોડર્માં વીરડી, ટ્રાઇકોડર્માં હારજીયાનમ, ટ્રાઇકોડર્માં વાઈરેન્સ, ટ્રાઇકોડર્માં હેમેટમ, ટ્રાઇકોડર્માં કોની-ગી, ટ્રાઇકોડર્માં પોલીસ્પોરમ, ટ્રાઇકોડર્માઁ એટ્રોવીરડી, ટ્રાઇકોડર્માં લો-જીબ્રેકીયેટમ, ટ્રાઇકોડર્માં સ્વયુડોકોની ગી, ટ્રાઇકોડર્માં ફેસીક્યુલેટમ, ટ્રાઇકોમાં રેઇસી ઉપયોગી છે. જેમાંથી ટ્રાઇકોડર્માં વીરીડી અને ટ્રાઇકોડર્માં હારજીયાનમ સૌથી વધારે ઉપયોગી માલુમ પડેલ છે.

ટ્રાઈકોડમાં ફૂગ રોગકારક ફૂગનું નિયંત્રણ કેવી રીતે કરે છે ?

૧. ટ્રાઇકોડર્માં એ રોગકારક ફૂગની ઉપર પરોપજીવી તરીકે પોતાની કવચજાળ પાથરી તેમાંથી કોષરસ ચુસીને રોગકારક ફૂગનું નિયંત્રણ કરે છે.

ર. ટ્રાઇકોડર્માં ફૂગ એ જમીનમાં વિવિધ પ્રકારની એન્ટીબાયોટીક છોડીને રોગકારક ફૂગની કોષ દિવાલને તોડીને તેનું નિયંત્રણ કરે છે.

૩. ટ્રાઇકોડર્માં ફૂગ રોગકારકોની સાથે ખોરાક માટે હરીફાઇ કરીને તેને કાબુમાં રાખે છે.

૪. ટ્રાઇકોડર્માં જમીનમાં વિવિધ પ્રકારના રસાયણો છોડ છે જેથી છોડની રોગપ્રતિકારક શકિતમાં વધારો કરે છે. અને પોષક તત્વોની લભ્યતા વધારે છે. ટ્રાઇકોડર્માં ફૂગ રોગકારક ફૂગના બીજાણુંને ઉગતા અટકાવે છે.

ટ્રાઈકોડમાંના ફાયદાઓ

૧.  ટ્રાઇકોડર્માં આપવાથી જમીનજન્ય રોગોનું લાંબા સમય સુધી નિયંત્રણ કરી શકાય છે.

ર. ટ્રાઇકોડર્માં એક કરતાં વધારે જમીનજન્ય ફૂગનું નિયંત્રણ કરે છે.

૩. ટ્રાઇકોડર્માં જમીનમાં રહેલાં અર્ધ સડેલા કચરો, પાન, જડીયા, દેશી ખાતરને ઝડપથી સેડવી ખાતરમાં ફેરવે છે. ટ્રાઇકોડર્માં જમીનમાં રહેલાં અલભ્ય પોષકતત્વોને લભય સ્વરૂપમાં ફેરવી છોડને આપે છે.

૪. ટ્રાઇકોડર્માં આપવાથી છોડની વૃદ્ધિ, વિકાસ અને ઉત્પાદન વધે છે. ટ્રાઇકોડર્માં બીજમાવજત તરીકે આપવાથી બીજનો ઉગારો સારો થાય છે.

૫. રાસાયણિક ફૂગનાશકોની સરખામણીમાં વધુ સસ્તુ પડે છે. પર્યાવરણ માટે સલામત છે. તેના ઉપયોગથી જમીન, જળ અને હવામાં પ્રદૂષણ થતું નથી. ટ્રાઇકોડર્માંની પાક ઉપર કોઇ પ્રતિકૂળ અસર થતી નથી.

૬. ટ્રાઇકોડર્માં આપવાથી છોડના ઊંડા મૂળની સંખ્યામાં વધારો થાય છે. જેથી છોડ પાણીની ખેંચ સામે ટકી શકે છે.

૭. ટ્રાઇકોડર્માંની માનવ સ્વાસ્થય ઉપર કોઇ આડ અસર થતી નથી.

૮. ટ્રાઇકોડર્માં સામે રોગકારક ફૂગ પ્રતિકારક શક્તિ ઉભી કરી શકતી નથી.

૯. ટ્રાઇકોડર્માં આપવાથી ફળ પાકોના ઉત્પાદન અને સ્વાદમાં વૃદ્ધિ થાય છે.

૧૦. ટ્રાઇકોડર્માં જમીન રહેલા લાભકારક જીવાણુની સંખ્યામાં વધારો કરે છે.

સફ્ળકિસાનની વેબસાઈટ પર નવી માહિતી વિશે તમારા ફોન પર સુચના (નોટીફિકેશન) મેળવવા માટે અહિં ક્લિક કરો.

નોંધ: ફોન પર સુચના મેળવવા માટે તમારા ફોન પર 'ટેલેગ્રામ' એપ હોવી જરૂરી છે. તમે આ એપ ગુગલ પ્લે-સ્ટોર થી ડાઉનલોડ કરી શકો છો.

હવે તમે પણ સફળકિસાનની વેબસાઈટ દ્વારા અન્ય કિસાનમિત્રો સાથે માહિતી શેર કરી શકો છો. માહિતી કેવી રીતે આપવી એ જાણવા માટે અહીં જુઓ.

તમે અન્ય કિસાનમિત્રોએ આપેલ માહિતી ખેડૂતો માટે,ખેડૂતો દ્વારા પર જોઈ શકો છો.

1 thought on “જૈવિક નિયંત્રણ (bio-control): ટ્રાઇકોડર્મા ફુગ દ્વારા અન્ય રોગકારક ફુગનું નિયંત્રણ”

  1. Good information form tryaco.,
    Better knowledge upgrade of Farmer
    Thanks safal kisan .

    Je khedut bhai yo ne organic farming karvu hoy te
    Phone kari sake chhe.

    Any farmers convert chemical farming to organic farming any time help my said
    Call 8000810064

Comments are closed.